Powered By Blogger

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

સુવિચાર

જીવનની દિશા
                                           ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત શોધક આઈઝેક ન્યુટન નું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું. ભણવામાંય એ સાવ સામાન્ય. ક્લાસના ખુબ હોશિયાર પણ તોફાની છોકરા સાથે ન્યુટન ને તકરાર થઇ. બધા પર રોફ કરતા આ છોકરાની ન્યુટને બરાબર પીટાઈ કરી. બીજા વિદ્યાર્થીઓ તો ખુશ થઈને ન્યુટન ને શાબાશી આપવા લાગ્યા. જો કે ન્યુટનના મનમાં એ વખતે વિચાર ઝબકયો કે શરીરની તાકાતમાં તો મેં એ છોકરાને હરાવ્યો, હવે બુદ્ધિની તાકાતમાં એને હરાવું ત્યારે ખરો. આ ઘટના પછી ન્યુટન ના જીવનમાં વળાંક આવ્યો. ખુબ મહેનત કરવાનું શરુ કર્યું. નવું નવું શીખવાની અને કરવાની ધગશ ખીલવી. તે  દિવસથી એ મોટી વસ્તુઓના નાના નમુના બનાવવા લાગ્યો. એમના ઘર પાસે મોટી પવનચક્કી મારફતે લોટ દળવાની ઘંટી ચાલતી જોઈ. એના પરથી મને નાનકડી પવનચક્કી બનાવી નાખી. એનાપંખા પર એ ઉંદરને મૂકી દેતો અને ઉંદરના ચલાવના ભારથી ચક્કર ઘુમવા લાગ્યું. પાણીથી ચાલનારી ઘડિયાળ પણ એમણે આજ રીતે બનાવેલી, એ પછી સૂર્યઘડી પણ બનાવી. મકરસંક્રાંતિ પર પતંગની દોરી સાથે કાગળનું ફાનસ આજે આપણે ઉડાડીએ છીએ એનો પહેલો વહેલો પ્રયોગ ન્યુટને કરેલો. જીવનમાં આવેલા એ પરિવર્તનને કારણે નવું જાણવાની, જોવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની તાલાવેલી વધતી જ રહી અને નાનપણના એ સંસ્કારબીજ આગળ જતા ખુબજ ફૂલ્યા ફાલ્યા અને મહાન વિજ્ઞાની તરીકે એ પંકાયા. જગવિખ્યાત વિજ્ઞાની બન્યા છતાંય એમનામાં નમ્રતા ભારોભાર હતી. અનેક મોટી શોધના શોધક બન્યા છતાં એતો એમાજ કહેતો કે, હું તો  હજી સાગરકાંઠે છીપલાં વીણતો અબુધ બાળક જ છું !
સાર :- દરેકના જીવનમાં પરિવર્તનની કોઈ ને કોઈ પળ તો આવતી જ હોય છે. આ પળે જે જાગી જાય છે. અને કોઈ ચોક્કસ દિશા પકડી લે છે તો એમના વિકાસને કોઈ રોકી શકતું નથી.


પોતાની જાત ને બદલો

                                 એક સમયની વાત છે, એક વિશાળ સામ્રાજ્યનો રાજા પોતાના મહેલ થી દુર એક ગ્રામીણ વિસ્તારના પ્રવાસે જાય છે, આ વિસ્તાર તેના મહેલથી ખુબ દુર હતો.  જયારે તે પ્રવાસેથી પાછો પોતાના મહેલ પર ફરે છે ત્યારે તે ફરિયાદ કરે છે કે પોતાના પગ પર ફોલ્લા પડી ગયા છે અને પગ પણ ખુબ દુખે છે. રાજા પહેલીજ વાર આટલા દુર સુધી પ્રવાસે ગયો હતો.અને રસ્તો પણ ખુબ નિર્જન અને પથરાળ હતો.  તે પોતાના સૈનિકોને હુકમ કરે છે કે આપના રાજ્યના તમામ રસ્તાઓને ચામડાથી મઢી દો, જેથી ફરીવાર આવું ના બને. આ સંભાળીને સિપાહીઓ એક બીજાના મોઢા જોવા લાગે છે, કારણકે એતો સીધી વાત છે કે આમ કરવા માટે ખુબ બધા પ્રાણીઓના ચામડાની જરૂર પડે, અને પૈસા પણ પુષ્કળ જોઈએ. ત્યારે તેનો એક વફાદાર સૈનિક હિંમત કરીને કહે છે કે મહારાજ, શા માટે તમે આટલો બધો વણજોઈતો ખર્ચ કરવો છો, તમે એક નાનો ચામડાનો કટકો લઈને તમારા પગને કેમ નથી ઢાંકી દેતા?  રાજા આશ્ચર્યચકિત થઇ જાય છે, અને થોડા સમય પછી સૈનિકની કીમતી સલાહનું પણ અનુસરણ કરે છે. અને પોતાના પગ માટે બુટ બનાવી લે છે.   
સાર  :- જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના મન અને વિચારને બદલો   દુનિયા આપો આપ બદલાઈ જશે.



સફળતામાં નમ્રતા અને નિષ્ફળમાં ધીરજ રાખો
                               અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે  એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો.
ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે."
 યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું,  " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? "
યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. "
 વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? "
યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે."
 વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી  કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે, એકડે એક થી અભ્યાસ કરવો પડશે. એની સામે અત્યારેતો તે જેટલા ધોરણ પાસ કર્યા છે એનાથીજ આગળ વધવાનું રહેશે."
 વૃદ્ધાની વાત સાંભળી યુવાને આત્મહત્યાનો વિચાર પડતો મુક્યો. અને ચુપચાપ ઘર ભણી વળ્યો.
સાર :-  જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમાજ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે.


વાસ્તવિકતા સ્વીકારો અને આત્મવિશ્વાસ વધારો
                                                                 

                                                                   ઓલિવર ક્રોમવેલ પોતાના અભૂતપૂર્વ સાહસ અને બહાદુરી માટે વિખ્યાત હતો. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલીથી ભરેલી હોય, તો પણ તેઓ તેની સાથે લડવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. આને લીધે આખા યુરોપિય સમાજમાં તેમને લોકો માનથી જોતાં અને મળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. માતાઓ પણ બાળકોને ઓલિવરની બહાદુરીના પ્રસંગો સંભળાવી તેમના જેવા બનવાની પ્રેરણા આપતી હતી. એક દિવસ ઓલિવરની બહાદુરીથી પ્રભાવિત થઈને એક ચિત્રકાર તેમની પાસે આવ્યો અને તેમનું ચિત્ર   બનાવવાની ઈચ્છા પ્રગટ કરી.
                
                ઓલિવરે તેને પોતાનું ચિત્ર બનાવવાની રજા આપી. ચિત્રકાર ઘણો રાજી થયો. પરંતુ એક મુશ્કેલી તેને તેમાં દેખાઈ. ઓલિવર ઘણો સાહસિક અને બહાદુર હતો સાથે એટલો કુરૂપ પણ દેખાતો હતો.  તેના ચહેરા પર એક મોટો મસો હતો. જેને લીધે તે ઘણો ખરાબ દેખાતો હતો. ચિત્રકારે ઓલિવરના ચિત્રમાં મસાને ન દોર્યો. જેને લીધે ચિત્ર ઘણું સુંદર બન્યું. ચિત્રકાર જ્યારે ઓલિવર પાસે આ ચિત્ર લઈને પહોંચ્યો ત્યારે ઓલિવરે તેને કહ્યુ કે, તમારી કલાકૃતિ ઘણી સુંદર છે, પરંતુ આ ચિત્ર મારું નથી.  ચિત્રકાર તેમનો ઈશારો સમજી ગયો. પછી તે મસા સાથેનું ઓલિવરનું ચિત્ર બનાવીને લાવ્યો. જેને જોઈને ઓલિવર ઘણો રાજી થયો અને કહ્યું કે, હા, આ ચિત્ર મારું છે. એટલે કે પોતાની શારીરિક અને માનસિક નબળાઈઓનો સ્વીકાર કરવાની તાકાત માણસની અંદર એવો આત્મવિશ્વાસ જગાવે છે કે, જે તેને તેની નબળાઈઓ હોવા છતાં પણ સફળ બનાવે છે.
સાર :- વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત રાખો, ,,  તે તમારી અંદરના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.




શબ્દોની તાકાત
                      દેડકાની ટોળી ચાલી જતી હતી, શિસ્તમાં ચાલવું એવો નિયમ, બે દેડકાઓએ નિયમનો ભંગ કર્યો બંને એક ખાડામાં પડી ગયા. ટોળીના બાકીના દેડકો એ ખાડાની ફરતે ઉભારહી ગયા. જોયું તો ખાડો ઉંડો હતો, એમ છતાં ખાડાની અંદર પડી ગયેલા દેડકો બહાર આવવા માટે કુદાકુદ કરતા હતા.  બહાર ઉભેલા દેડકાઓને લાગતું હતું કે દેડકા જેવા જીવ માટે એ ખાડો ખુબ ઊંડો હતો.  ગમે તેટલી મહેનત કરે તો પણ તેમાંથી બહાર આવવું વ્યર્થ હતું. આ દરમિયાન પેલા બંને દેડકા તો કુદકા મારી બહાર આવવાની કોશિશ કરતા જ હતા. આ જોઇને બાકીના દેડકા એને કહેવા લાગ્યા: "ખાડો ખુબ ઊંડો છે. તમે બહાર નહિ નીકળી શકો. નકામી મહેનત કરવાનું છોડો. શાંતિથી એક ખૂણામાં બેસો અને મૃત્યુના શરણે જાઓ." એક દેડકો આ શબ્દો સાંભળી ગયો. એને પ્રયત્નો છોડી દીધા. ચુપચાપ મૃત્યુની રાહ જોવા લાગ્યો, પણ બીજાએ તો જીવ ઉપર આવીને કુદકા મારવાનું ચાલુ જ રાખ્યું. થાકી ગયો, હાંફી ગયો પણ એને પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે એક વાર એવું જોર લગાવ્યું કે એ ખાડાની બહાર આવી ગયો. બધા દેડકાને નવી લાગી અને કહેવા લાગ્યા: "અમે તો તને છલાંગ લગાવવાની ના પડતા હતા તો પણ તે શું વિચારીને પ્રયત્નો ચાલુ રાખ્યા?" પેલો દેડકો કહે: 'હૂ તો સાંભળતો  જ નહોતો. મને તો એમ કે ખાડા ફરતે ઉભારહી બહાર આવી જવા માટે તમે મને પાનો ચડાવતા હશો. બસ, એમ માનીને મેં છલાંગો લગાવવાનું ચાલુ રાખ્યું.'
સાર :-  શબ્દોની તાકાતમાં જીવન અને મૃત્યુ સમાયેલા છે. કડવા, હતાશ કરી મુકતા શબ્દો ના માત્ર બીજાના દિલને ઠેસ પહોચાડે છે, પરંતુ નિરાશા અને મૃત્યુના કારણ પણ બની શકે છે. બીજી બાજુ મીઠા પ્રોત્સાહક શબ્દો બીજાને ઉંચે આવવામાં અને પ્રયત્નમાં પાછી પાની નહિ કરવાનું બળ બની શકે છે.
બહાનાબાજી છોડો

          બહાનાબાજી એટલે કસુર કે દોષની ગંભીરતા ઓછી કરવા માટે કારણ દર્શાવવું, જવાબદારીમાંથી છટકવા માટે પેતરાં રચવા, પોતાના કૃત્યોના બચાવ માંતેસચી-ખોટી દલીલો કરવી.
 બહાનાબાજી માટે મોટી કીમત ચૂકવવી પડે છે.જ્યોર્જ વોશિંન્ગટને કહ્યું છે : " ૯૯ ટકા નિષ્ફળતા એવા લોકોના જીવનમાં આવે છે, જેમને બહાના બનાવવાની ટેવ હોય છે."                
                        બે પડોશીઓની આ વાત છે, બન્નેએ પોતાના બંગલાના આંગણામાં સુંદર મજાના બગીચા બનાવ્યા હતા. એક દિવસ એક પાડોશી બીજાને ત્યાં ઘાસ કાપવાનું મશીન થોડીવાર વાપરવા લઇ આવવા માટે ગયો. બીજા પડોશીએ કહ્યું : " હું તમને ઘાસ કાપવાનું મશીન આપી શકીશ નહિ, કારણકે મુંબઈ થી બેંગ્લોરની બધીજ વિમાની સેવા આજે રદ થઇ છે."પહેલા પડોશીએ નવાઇ સાથે પૂછ્યું: " મુંબઈ થી બેંગ્લોરની વિમાની સેવા રદ થવાને અને ઘાસ કાપવાનું મશીન મને આપવાને શું લાગે વળગે? "
     બીજો પડોશી કહે: " આમ તો એ બન્ને વચ્ચે કંઈ લાગતું વળગતું નથી, પરંતુ મારું ઘાસ કાપવાનું મશીન હું તમને આપવા માંગતો નથી એટલે મારે કોઈ બહાનું તો બતાવવું પડે ને ?"
રમુજ ને બાજુમાં રાખીએ તો પણ ઉપરની વાત સોએ સો ટકા સાચી છે. કોઈ પણ બહાનું એટલે બીજું કશુ જ નહિ, પરંતુ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર જ છે.
      નિષ્ફળતા સંતાડવા માટે કરવામાં આવતી બહાનાબાજી લાંબો સમય ટકતી નથી. બહાનું બતાવવાથી તાત્કાલિક કદાચ રાહત મળી જાય, પણ વહેલા-મોડા એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. નાણાંથી કિંમત ચૂકવવી પડતી હોય તો સમજ્યા કે પૈસા તો ફરીથી કમાઈ લેવાશે, પરંતુ અણદીઠી કિંમત જે આપણે ચૂકવવી પડે છે તે આપણને ભારે નુકસાન પહોચાડે છે. બહાનાબજીના આવા ભારે નુકસાન શું છે ?
સાર: -આપણા વિશે જે હકીકત છે એનો સામનો કરવાથી એ આપણને વંચિત રાખે છે.
 - આપણી ભૂલોને સુધારવાથી એ આપણને દુર રાખે છે.
-આપણી નબળાઈઓ દુર કરી, આપણા ચારિત્ર્ય અને પ્રતિભાની ખીલવાની કરવાથીએ    આપણને વંચિત રાખે છે.                                                    
 - માટે બહાનાબાજી છોડી વાસ્તવિકતાનો સ્વીકાર કરો સફળતા કદમ ચુમશે.



સફળતાનું ઝરણું
કહેવાય  છે  કે  પ્રત્યેક  નિષ્ફળતા  પણ  પોજીટીવ  થીંકીંગ  કરનાર  ને  સફળતાની  નજીક  લઇ  જાય  છે.
              વીજળી ના ગોળાની શોધ કરનાર થોમસ આલ્વા એડીસન  એક શોધની પાછળ દિવસ-રાત એક કરી રહ્યા હતા. સેંકડો પ્રયત્ન કરવા છતાં પણ પરિણામ મળતું ના હતું. સાથી વૈજ્ઞાનિકો થાકી-હારીને આ શોધ પડતી મુકવા માટે એડીસનને સમજાવી રહ્યા હતા. જો કે એડીસન ને પ્રયોગની સફળતા માટે શ્રદ્ધા હતી. સહાયક વિજ્ઞાનીઓ હતાશ થઈને કહેવા લાગ્યા કે આમ ને આમ તો જીંદગી પૂરી થઇ જશે, એના કરતા આપને હવે બીજી કોઈ શોધ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, પણ એડીસન પોતાના વિચારોમાં અડગ હતા. સંશોધન પાછળના પ્રયાસ છોડી દેવા તે તૈયાર ના હતા.
           એક વાર તો અધીરા થયેલા સહાયકોએ એમને સ્પષ્ટપણે કહી દીધું કે તમે પાંચસો વાર હાર્યા છો. પાંચસો પ્રયોગોનું કોઈ પરિણામ નથી આવ્યું. હવે તમે આ પ્રયોગ કરવાનું નહિ છોડો તો અમે તમને છોડીને જતા રહીશું.... એડીસન એમને ઉતર આપતા કહે " ' અહી જ તમારી ભૂલ થાય છે. આપણે હાર્યા નથી. પ્રત્યેક નિષ્ફળ પ્રયોગ આપણને સફળતાની નજીક લાવી રહ્યો છે. આ સમયે તમે પ્રયાસ છોડી દેશો તો આપણે  નિષ્ફળ જવાના.  મને હવે સફળતા ડોકાઈ રહી હોય એમ લાગે છે ત્યારે જ તમે નિષ્ફળતા ભણી જાતે જ જી રહ્યા છો' અંતે સહાયકોએ મને-કમને એડીસનને સહાય કરવાનું ચાલુ રાખ્યું. યોગાનુયોગે બીજા પાંચ પ્રયોગકાર્યમાં જ પ્રયોગ સફળ નીવડ્યો અને એડીસન નું નામ થઇ ગયું.
સાર :- નિષ્ફળતામાંથી માણસ જીવનના મહત્વના પાઠ શીખે છે. જે નિષ્ફળતાથી ગભરાય છે, , હતાશ થાય છે એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ થતી નથી. જીંદગીમાં જે પામવા માટે પાંચસો બારણા ખટ ખટાવ્યા હોય  છે એજ બારણા ઘણી વાર ઉઘડવાની કે તુટવાની તૈયારીમાં હોય છે. ભૂતળમાંથી પાણી  કાઢવા પાંચસો ફૂટ ખોદાય કર્યા પછી  બીજા પાંચ ફૂટ માટે પાછા ના પડશો.
 કદાચ સફળતાનું ઝરણું એમાંથી પ્રગટે પણ ખરું!

પ્રસન્નતાનો અનુભવ

           એક પ્રખ્યાત સુફી સંત હતા. એની ખ્યાતી ચારે બાજુ ફેલાયેલી હતી. એક વખત એક માણસ સાધના શીખવા ગયો. એની માત્ર એટલીજ ઈચ્છા હતી કે એ એવું કંઈ સિદ્ધ કરે જેથી એ હમેશા પ્રસન્ન રહી શકે. એ માણસ સુફી સંત પાસે પહોચ્યો ત્યારે એણે જોયું કે એ સંત પાસે વાસની બનેલી એક નાનકડી છાબડી હતી અને એમાંથી એ દાણા લઇ ને પક્ષીઓને ખવડાવતા હતા.એ જોઇને સંતના મોં પર હરખ સમાતો ના હતો. આમ ઘણો સમય પસાર થઇ ગયો. સંતે પેલા માણસ તરફ કોઈ ધ્યાન ના આપ્યું. આથી પરેશાન થઈને એ પેલા સંતને કંઈક કહેવા જતો હતો ત્યાજ એને રોકીને સંતે પેલી દાણા ભરેલી છાબડી એને પકડાવી દીધી અને કહ્યું: 'હવે તું પક્ષીઓને ચણ નાખ અને  એના આનંદનો અનુભવ મેળવ' પેલો માણસ તો  વિચારવા લાગ્યો કે ક્યાં હું પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સાધના જેવી ઉંચી વસ્તુ શીખવા અહી આવ્યો છું અને ક્યાં આ સંત મને પક્ષીઓને ચણ નાખવા જેવું મામુલી કામ સોપે છે. સુફી સંતે એના મનમાં ઘોળાતી વાત પકડી પાડી અને બોલ્યા, ખુદની મુશ્કેલીઓને ભૂલીને દરેક જીવને આનંદ પહોચાડવાનો પ્રયત્ન જ જીવન ની દરેક સિદ્ધિ અને પ્રસન્નતાનું રહસ્ય છે. જો તું સુખ અને પ્રસન્નતા પામવા માંગતો હોય તો બીજાને એજ આપવાનું શીખ. એજ તો ખરી સાધના છે. સુખ, પ્રસન્નતા, ખુશી, આનંદ આ બધા સાપેક્ષ શબ્દો છે. આથી એનો અનુભવ પણ સપેક્ષાના સંદર્ભમાં થાય. કોઈને હરાવીને જીતવાના આનંદમાં ભવિષ્યમાં કોઈ સામે હારી જવાનો ભય પણ સમાયેલો હોય છે. આથી સુખ અને પ્રસન્નતા ની બીજા સાથે વહેચણી કરવાથી એનો વિશેષ આનંદ થાય .

સાર :-- પ્રસન્નતા કોઈ ઉપર જીત મેળવીને મળે તેના કરતા કોઈને જીત અપાવીને વધુ મળે છે.

-સફળતા દ્વારા પ્રસન્નતા અને પ્રસન્નતા દ્વારા સફળતા મળે છે,. તે એક સિક્કાની બે બાજુ છે.



કુહાડીની ધાર
           સ્પર્શ, સ્વાદ, દષ્ટિ, ધ્રાણ(ગંધની પરખ) અને શ્રવણ. આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જનમ્યા  છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમનસેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમનસેન્સ કહેતા કોઠાસુજ. એ કેળવી શકાય છે. જો કે કોઠાસુજ પ્રેરતું ન હોય તેવું શિક્ષણ પણ નિરર્થક છે. કોઠા સુજ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા બરાબર છે.
          એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજે જ વર્ષે એને પગાર વધારો મળ્યો, આ જોઇને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહિ મળ્યાની ફરિયાદ કરી.
 શેઠ કહે: " વર્ષોથી જેટલા ઝાડ તું કાપતો હતો એટલાજ ઝાડ તું આજેય કાપે છે.
 જો તું વધારે ઝાડ કાપી લાવ તો તનેય પગાર વધારો મળે" .
    જુના કઠિયારાને તો જાણે દિશા મળી ગઈ. ધડાધડ ઝાડ કાપવા લાગ્યો. કામના કલાક વધારી દીધા. પણ એથી એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. આથી એને શેઠ પાસે જઈને પોતાની વ્યથા રજુ કરી. નવો કઠિયારો શા માટે વધારે ઝાડ કાપી શકતો હતો એનું રહસ્ય જાણવા શેઠે એને નવા કઠિયારા પાસે મોકલ્યો.
 નવો કઠિયારો કહે: " દરેક વખતે જયારે હું એક ઝાડ કાપી લઉં છું પછી બે મિનીટ માટે વિરામ લઇ મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી?"
 આ સવાલ જુના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો." 
સાર :-
 તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી ? ભૂતકાળ નો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકિયા શિક્ષણથી આ કામ થઇ શકે નહિ. જે ચીજ જેવી છે એવીજ દેખાય અને જે રીતે થવી જોઈએ એજ રીતે થાય એવી કોઠાસુજ રૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે.
                                                         

શનિવાર, 11 ઑગસ્ટ, 2012

વિજ્ઞાન-પંજરી





 






















 







               વિજ્ઞાન શબ્દનો અર્થ જ વિશેષ જ્ઞાન એવો થાય છે. પ્રત્યેક વિદ્યાર્થી જ્ઞાન ધરાવે છે ,પરંતુ જે વિદ્યાર્થી વિશેષ જ્ઞાન ધરાવવા જીજ્ઞાસું , ઉત્સુક અને કુતુહલવશ રહે છે તેનું નામ વૈજ્ઞાનિક છે. રોજબરોજના જીવનમાં એવી કેટલીયે ઘટનાઓ ઘટતી હોય છે કે જેમાં વિજ્ઞાન સંકળાયેલું હોય છે ,બાળકોનું મન આ ઘટનાઓની પાછળ રહેલા વિજ્ઞાનને જાણવા ઉત્સુક હોય છે.
                                              વધુમાં વધુ બાળકો રોજબરોજના વિજ્ઞાનને સમજી શકે તે માટે દર પ્રાર્થનાસભામાં રજૂ થયેલ પ્રશ્નોને એકસાથે વિજ્ઞાન-પંજરી અંકમાં રજૂ કરી શાળાના આચાર્યશ્રીને પુસ્તકાલયમાં વિજ્ઞાન-પંજરી વાંચન અંક અર્પણ કરતાં  હું આનંદ અનુભવું છું.
                                              પુસ્તકાલયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ અંક તેમની જ્ઞાનની સીમાઓ વધારવા મદદરૂપ થશે. આપણા બાળકોમાં સંશોધનાત્મકવૃતિ વિક્સે ,બાળકો વિવિધ વૈજ્ઞાનિક શોધોથી માહિતગાર થાય તથા શિક્ષકોને પણ રોજબરોજના જીવનમાં સંકળાયેલા વિજ્ઞાનના સિધ્ધાંતથી માહિતગાર થવામાં આ અંક ઉપયોગી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
અનુક્રમણિકા    
ક્રમ
પ્રશ્ન
1
ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?
2
ઉકાળેલા દૂધ ઉપર પોપડો પડ (CRUST) શાથી જામે છે ?
3
અરીસામાં ચહેરો કેવી રીતે દેખાય છે ?
4
પ્‍લાસ્ટિક સર્જરી શું છે ?
5
અજવાળા કરતાં અંધારામાં આપણે શા માટે ઝડપથી / સહેલાઇથી ઊંઘીએ છીએ?
6
ડુંગળી સમારતી વખતે આંખમાં પાણી આવે છે ?
7
દૂધમાં ઉભરો ચડે છે તેમ પાણીમાં કેમ ચડતો નથી ?
8
પગે ખાલી કેમ ચડે છે ?
9
વ્‍યકિતના ફોટાને બિલકુલ સામે રહીને જોતાં……..
10
લાકડું શા કારણે કોહી જાય છે ?
11

વ્યક્તિની યાદશક્તિ કેમ જતી રહે છે ?
12
રાત કરતાં સવારમાં શું આપણા શરીરની ઊંચાઇ વધુ હોય છે ?
13
ચાલતી વખતે આપણા હાથ કેમ આગળપાછળ ઝૂલે છે ?
14
થર્મોસમાં ચા ગરમ કેવી રીતે રહી છે?
15
માથું ક્યાંક જોરમાં અફળાય તો…….
16
દવાના નામ પહેલાં Rx એવી સંજ્ઞાનો અર્થ શો ?
17
આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે આમ કેમ ?
18
શું પાંદડું(ડાં) વોટરપ્રૂફ હોય છે ?
19
ખાધેલા ખોરાકનું શરીરમાં શું થાય છે ?
20
માથા અને શરીર પર વાળ શા માટે ?
  21
કૃત્રિમ ઉપગ્રહો શેના જોરે પૃથ્‍વીને પ્રદક્ષિ‍ણા કરતા રહે છે ?
22
કપાસિયા તેલ કેટલું ગુણકારી ?
23
શું મસાલા ખોરાકમાં જરૂરી છે ?

24
બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?
25
એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?
26
માણસને બગાસાં કેમ આવે છે ?
27
રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?
28
આંખ સતત પલકારા કેમ માર્યા કરે છે ?

29
ડૉક્ટરો ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે ?
30
ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર પ્રતિબંધ કેમ છે ?

31
કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?
32
એરકન્ડિશનરનો કુલિંગ પાવર ટનમાં કેમ છે ?
33
સ્ત્રીઓને દાઢી કેમ ઉગતી નથી ?




  1.     ભૂખ લાગવાનું વૈજ્ઞાનિક કારણ શું ?
                             જાણે આદત પડી હોય એ રીતે આપણે રોજ બે ટંક જમી લઇએ છીએ. કેમ કે આપણને ભૂખ લાગે છે. પરંતુ ભૂખ શા માટે લાગે છે ? એવો પ્રશ્ર તમારા મનમાં કદી જાગ્‍યો છે ખરો ?
                            ભૂખ લાગવા પાછળ પણ એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે. ભૂખ લાગી છે, એવા પ્રકારનો સંદેશો આપણું શરીર આપણા મગજને મોકલતું હોય છે. આવા સંદેશાનો અર્થ એ કે પોષણયુકત પદાર્થોનું પ્રમાણ આપણા શરીરમાં ફરતા લોહીમાં ઘટી ગયું છે અને તેને આવા વધુ પદાર્થોની જરૂર છે. હવે આ કેવી રીતે બને છે તે જોઇએ.
                           આપણા શરીરમાં પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન થતું રહેતું હોય છે. જેથી શરીરના તમામ અવયવોને લોહી દ્વારા શકિત મળતી રહે. તેમાં સમતુલા જળવાય એ શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે. તેનો અર્થ એ કે બળતણરૂપે લેવાતા ખોરાક અને તેના વપરાશની સમતુલા જળવાવી જોઇએ અને તેનું બરાબર નિયંત્રણ પણ થવું જોઇએ. આ નિયંત્રણ ખોરવાઇ ન જાય એટલા માટે તરસ અને ભૂખ લાગે છે. આપણા મગજમાં ભૂખનું કેન્‍દ્ર આવેલું છે. આ કેન્‍દ્ર આપણા આંતરડા અને પેટની પ્રવૃતિ પર બ્રેકનું કામ કરે છે. મતલબ કે જયારે આપણા લોહીમાં પૂરતા પ્રમાણમાં પોષક પદાર્થો ભળેલા હોય ત્‍યારે મગજમાં આવેલું આ ભૂખનું કેન્‍દ્ર પેટ અને આંતરડાની પ્રવૃતિને થંભાવી દે છે. પરંતુ જો લોહીમાં આ પોષક દ્રવ્‍યોનું પ્રમાણ ઘટી જાય મગજમાં આવેલું ભૂખનું કેન્‍દ્ર પેટ તથા આંતરડાની પ્રવૃતિને પાછી ચાલુ કરી દે છે ! આ કારણે જ જયારે આપણને કકડીને ભૂખ લાગે ત્‍યારે પેટમાંથી ગડગડાટીનો અવાજ આવે છે. આમ છતાં તમને જાણીને નવાઇ લાગશે કે ખાલી પેટ સાથે ભૂખને કશો સીધો સંબંધ નથી.
કોઇ વ્‍યકિતને તાવ આવ્‍યો હોય તો તેનું પેટ ખાલી હોવા છતાં તેને ભૂખ નહીં લાગે, કેમ કે એ વખતે શરીરમાં સંઘરાયેલાં પ્રોટીનના અનામત જથ્‍થામાંથી તેને પોષણ મળતું હોય છે.
                             ભૂખ દ્વારા આપણા શરીરની બળતણ માટેની જરૂરિયાત વ્‍યકત થાય છે. કોઇપણ પ્રકારનું બળતણ વિજ્ઞાન કહે છે ખૂબ જ ભૂખી વ્‍યકિત કોઇપણ પ્રકારનો ખોરાક ખાઇ જતી હોય છે. કયારેક તો તે સામાન્‍ય સંજોગોમાં ન ખાવા યોગ્‍ય ખોરાક હોય તોપણ કઠોર સંજોગોની ફરજ પડે તો શાકાહારી માનવી માંસાહાર કરવા માંડે એટલું જ નહીં , બલકે તેની જિજીવિષા એવી તો પ્રબળ થઇ જાય કે તે માનવીનું માંસ પણ ખાવા લાગે. જોકે આવા કઠોર સંજોગો આપણા રોંજીદા જીવનમાં ઊભા થતા નથી અને એટલા માટે જ આપણે અવનવી વાનગીઓવાળો ખોરાક પસંદ કરવાની મનોવૃતિ ધરાવીએ છીએ.                  
                           દાખલા તરીકે જયારે કોઇ વ્‍યકિત જમવા બેસે ત્‍યારે પહેલાં તે સૂપ લેશે. પછી તે દાળભાત કે શાકભાજી અને રોટલી લેશે અને તેનાથી પેટ ભરાવા લાગે ત્‍યારે છેલ્‍લે ફળો કે મિષ્‍ટાન્‍ન લેશે. પરંતુ આટલું જ પોષણ લેવા માટે તે માત્ર બટેટાં ખાઇને સંતોષ માનશે નહીં. કયું પ્રાણી કેટલો વખત સુધી ખોરાક વિના ચલાવી શકે તેનો આધાર તેના શરીરમાં ચાલતી પોષક પદાર્થોનું સતત રાસાયણિક પરિવર્તન કરવાની પ્રક્રિયા પર છે. ગરમ લોહીવાળાં પ્રાણીઓમાં પ્રક્રિયા ઝડપી હોય છે એથી તેઓ વધુ ઝડપે ખોરાકનો જથ્‍થો વાપરી નાંખે છે
 
2.  ઉકાળેલા દૂધ ઉપર પોપડો પડ (CRUST) શાથી જામે છે ?

                            ઉકાળવામાં આવેલા દૂધ ઉપર જે પોપડો જામે છે , તે એક ખૂબ જ મૂલ્‍યવાન રાસાયણિક પદાર્થ કે તત્‍વ છે. તે પ્રોટીન કે એલ્‍બ્‍યુમિન છે અને તેને લેકટાલ્‍બ્‍યુમેન કહેવામાં આવે છે , જે લેટિન ભાષાનો શબ્‍દ છે, અને તેનો અર્થ ‘‘દૂધ’’ થાય છે. જયારે તેને ઉકાળવામાં આવે છે ત્‍યારે ઘન સ્થિતિમાં પરિવર્તિત થવાનો ગુણ તેનામાં રહેલો છે.
                            જયારે દૂધને ઉકાળવામાં આવે ત્‍યારે આ પદાર્થ દૂધની ઉપર તર્યા કરે છે. ઘણા માણસોને તે ગમતો નથી અને તેથી તેઓ તેને ફેંકી દે છે , પરંતુ તેનામાં ખાસ ફાયદા રહેલા છે. દૂધમાં રહેલાં બીજાં પ્રોટીન તત્‍વો ઘણાં બાળકો પચાવી શકતાં નથી, તેમનાં જીવા દૂધ પરનું આ પડ લેવાથી બચી જાય છે.
                             જયારે દૂધમાં મેળવણ (RENNET) ઉમેરવામાં આવે છે ત્‍યારે તેના કારણે દૂધમાંથી દહીં બને છે. તે તથા છાસ (WHEY) જે દૂધની અંદર રહેલું બીજું પ્રોટીન તત્‍વ છે તે જામી જાય છે અને દહીં જામવામાં મદદ કરે છે. પરંતુ આ કિસ્‍સામાં લેકટાલ્‍બ્‍યુમેન જામતું નથી અને પ્રવાહી જ રહે છે. બાળકો અથવા અશકત માણસો , જેઓ બીજા સ્‍વરૂપના ખોરાકમાંથી મળતા પ્રોટીનને પચાવવા શકિતમાન હોતા નથી તેઓ આ લેકટાલ્‍બ્‍યુમેન પચાવી શકે છે . પ્રોટીન વિના કોઇ જીવી શકતું નથી, એટલે ઉકાળેલા દૂધ ઉપર છવાયેલો પોપડો ફેંકી દેવો એ , એક કીમતી તત્‍વ દૂધમાં રહેલા બહુ જ ઉત્તમ તત્‍વોમાંથી એક તત્‍વ-નો બગાડ કરવા જેવું છે .

3.    અરીસામાં ચહેરો કેવી રીતે દેખાય છે ?

                             સૂર્યનો પ્રકાશ દરેક જગ્‍યાએ પડે છે. બારીના કાચમાંથી તે સીધેસીધો પસાર થઈ જાય છે, પરંતુ પ્રકાશ આપણા પર પડે છે ત્‍યારે તે ચમકતો નથી કે ઝગમગતો નથી. પ્રકાશ આપણા સુધી આવે છે અને પછી પાછો ફેંકાઈ જાય છે. અરીસામાં પણ પ્રકાશ પાછો ફેંકાય છે.
                            મોટા ભાગે અરીસાના કાચની પાછળ જે ચાંદી જેવું ચળકતું પડ ચડાવવામાં આવે છે. આ ચળકતા પડમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેથી તે પરાવર્તિત થાય છે. પ્રકાશનાં કિરણો તમારા ઉપરથી અરીસામાં અને અરીસામાંથી તમારી તરફ આવે છે. તેથી અરીસામાં તમને તમારું પ્રતિબિંબ દેખાય છે.
                            અરીસા સામે ઊભા રહીને તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો અરીસામાં તમારા પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો જતો દેખાશે. અરીસામાં તમને હમેશાં ઊલટું ચિત્ર જ દેખાશે. સ્‍વચ્‍છ અને શાંત પાણીમાં પણ તમને તમારું પ્રતિબિંબ દેખાય છે, પણ તે ધૂંધળું દેખાય છે. પાણીના તરંગો પ્રકાશને અસમતોલ રીતે પાછા ફેંકે છે. અરીસો સ્‍પષ્‍ટ અને ચળકતો હોય છે. તેથી તમારું પ્રતિબિંબ સ્‍પષ્‍ટ અને સમતલ દેખાય છે.

4.    પ્‍લાસ્ટિક સર્જરી શું છે ?

                              વાસ્તવમાં પ્‍લાસ્ટિક સર્જરીનું ઓપરેશન થતું નથી. પરંતુ કાસ્મેટિક સર્જરી વડે થાય છે. પ્‍લાસ્ટિક સર્જરીમાં શરીરના એક સ્‍થાનની ચામડી કાઢવામાં આવે છે, અને બીજા સ્થાનપર ચોંટાડવામાં આવે છે. આમાં ફક્ત ચામડીના બે પડ લેવામાં આવે છે. કારણ કે આમાં નવા સ્થાનપર જીવતાં રહેવાની (શક્તિમાન) ક્ષમતા વધારે હોય છે.

5.   અજવાળા કરતાં અંધારામાં આપણે શા માટે ઝડપથી / સહેલાઇથી ઊંઘીએ છીએ?
                                     દુનિયાનો દરેક પદાર્થ જો તે પૂરતો પાતળો હોય તો પોતાનામાંથી તે થોડો કે વધુ પ્રકાશ પસાર થવા દે છે, અથવા તેનામાંથી પ્રકાશ પસાર થાય છે. ઊંઘતી વખતે આપણે આંખો બંધ કરીએ છીએ ત્‍યારે આંખો પોપચાનું ઢાંકણ કે આવરણ આવી જાય છે. આપણી આંખોનાં પોપચાં પાતળાં હોવાં જોઇએ , કારણ કે , જો આપણે કશુંક જોવું હોય તો આપણે તેને ઊંચે લઇ જવાં પડે છે, રાખવાં પડે છે. જો આ પોપચાં જાડાં હોય તો તે વજનમાં પણ એટલાં ભારે હોય કે , આપણને આંખો ખુલ્‍લી કે ઉઘાડી રાખવામાં ઘણી મહેનત અને મુશ્‍કેલી પડે. આ પોપચાં પાતળાં હોવાથી તે અપારદર્શક હોતાં નથી. જો તે કોઇ કાળા પડદા જેવા ઘેરા કે અપારદર્શક હોત તો આપણે અંધારાની પેઠે પ્રકાશમાં ,અજવાળામાં પણ સહેલાઇથી ઊંઘી શકીએ, કારણ કે પોપચાં બીડતાં જ આપણે પૂરેપૂરા અંધારામાં આવી જઇએ, પરંતુ એવું નથી.
                    
                           આપણી આંખોનાં પોપચાં પ્રકાશને પોતાની આરપાર સારા પ્રમાણમાં પસાર થવા દે છે, જેથી આંખોમાં પ્રકાશ પ્રવેશી શકતો ન હોવાથી આપણે બહુ સહેલાઇથી ઊંઘી શકીએ છીએ.
                           આંખો બંધ કરેલી રાખી હોય અને મકાનની બારી ખુલ્‍લી રાખી હોય ત્‍યારે આપણને ખાતરી થશે કે , પ્રકાશનાં કિરણો આંખોમાં પ્રવેશે છે.


6.   ડુંગળી સમારતી વખતે આંખમાં પાણી કેમ આવે છે ?

                          વૈજ્ઞાનિક રીતે જ આનું કારણ સમજવા માગતા હો તો જરા માંડીને વાત કરીએ . ડુંગળીમાં સલ્‍ફરનાં કેટલાંક સંયોજનો હોય છે, જેમને મંદ તેજાબ કહો તો પણ ચાલે. આ સંયોજનો ઊડ્ડયનશીલ છે; એટલે કે ડુંગળીને કાપો ત્‍યારે તેઓ હવામાં ચોતરફ ઊડવા માંડે છે. આંખને તેઓ ખૂબ જ બળતરા કરાવે છે, પણ સારા નસીબે તે સંયોજનો પાણીમાં દ્રાવ્‍ય છે. પરિણામે આંસુમાં તેઓ ઓગળી જાય છે, માટે ટૂંક સમય પછી બળતરા રહેતી નથી. ડુંગળીને પાણીમાં ડૂબાડેલી રાખીને કાપો તો તેજાબી સંયોજનો તત્‍કાળ પીગળી જવાને લીધે હવામાં પણ ફેલાય નહિ


7. દૂધમાં ઉભરો ચડે છે તેમ પાણીમાં કેમ ચડતો નથી ?

                              દૂધમાં કુદરતી પાણી મીનમમ ૮૩% અને મહત્તમ ૮૭% હોય છે. બાકીનાં તત્‍વોમાં પ્રોટિન ૩.૫% અને શર્કરા ૫% જ્યારે ચરબી સરેરાશ ૪% થી ૭% હોય છે. આમ તો દૂધમાં ચરબી અદ્રશ્‍ય રીતે પૂરેપૂરી ભળેલી રહે છે, પરંતુ દૂધને ગરમ કરાય ત્‍યારે પોતાના હળવા વજનને લીધે સપાટી પર જમા થવા માંડે છે. દરમ્‍યાન નીચેના લેવલે દૂધ માંહ્યલું પાણી ગરમ થાય ત્‍યારે આપોઆપ વરાળના બારીક પરપોટા બને. ગરમ વરાળ હંમેશા ઊંચે ચડે, માટે તેઓ પણ સપાટી તરફ ઊંચે ગયા વગર રહેતા નથી.

                            મલાઈનો એટલે કે ચરબીનો થર ત્‍યાં એ પરપોટાને કેદ પકડી રાખે છે. વળી થર નીચે પરપોટા વિસ્‍તરણ પામે છે, માટે ફુગ્‍ગામાં જાણે હવા ભરી હોય તેમ થર પોતે અધ્‍ધર ચડે છે. નીચેના લેવલે દૂધ માંનું કેટલુંક વધુ પાણી સૂ્ક્ષ્‍મ પરપોટામાં ફેરવાય, ફીણની જેમ એ પરપોટા સપાટી તરફ ચડે, મલાઇના થરને ફુલાવે અને પોતે વિસ્‍તરણ પામતા જાય એટલે દૂધમાં ઊભરો આવે છે. ઉકળતા પાણીમાં એવું ન બને, કેમ કે દરેક પરપોટો સપાટી લગી પહોંચતા જ ફૂટી જાય છે.

8.    પગે ખાલી કેમ ચડે છે ?

                           પગનું હલનચલન અટકી જાય અને ભેગાભેગ તેના સ્‍નાયુ પણ એકધારા દબાયેલા રહે ત્‍યારે લોહીનું ભ્રમણ તેમાં બરાબર થતું નથી.
                          પગની અંદરના ટિબિયલ નર્વ કહેવાતા મુખ્‍ય જ્ઞાનતંતુને મળતો લોહીનો પુરવઠો અવરોધાય છે, માટે એ જ્ઞાનતંતુમાં મગજના સંદેશા પણ મુક્ત રીતે વહી શકતા નથી.ઘણીવાર જ્ઞાનતંતુ પોતે દબાય એટલે પણ સંદેશાનો ટ્રાફિક અટકી પડે છે. પગના દરેક સ્‍નાયુને ચોક્કસ રીતે હલનચલન કરવાના હુકમો તે જ્ઞાનતંતુ દ્વારા મળતા હોય છે. મગજે પ્રસારિત કરેલા એવા હુકમો પગના જે તે સ્‍નાયુને ન પહોંચે સુધી આપણે પગને સરળતાપૂર્વક આમ કે તેમ ખસેડી પણ ન શકીએ. આને લીધે પગમાં ચેતના પણ જણાય નહિ. પગ તત્‍પુરતો ખોટો પડી જાય છે. અંતે જકડાયેલા પગને સહેજ છૂટો કરી તેના પરનું દબાણ હળવું બનાવો ત્‍યારે એ વખતે તેમાં પાછો શરૂ થતો સંદેશાનો ટ્રાફિક આસપાસના સ્‍નાયુમાં હળવી ઝણઝણાટી પેદા કરે છે અને તે ઝણઝણાટી માટે જ આપણે ખાલીશબ્‍દ વાપરીએ છીએ.





9.    વ્‍યકિતના ફોટાને બિલકુલ સામે રહીને જોતાં ........
                             આ જાતનો આભાસ ખરેખર તો આપણો દ્રષ્ટિભ્રમ છે , પરંતુ દર વખતે તેવો ભ્રમ થતો નથી. વૈજ્ઞાનિક રીતે કહો તો ફોટામાં કે ચિત્રમાં રહેલી વ્‍યક્તિની કીકી બિલકુલ આંખના કેન્‍દ્રસ્‍થાને હોય એટલે કે વચ્‍ચોવચ હોય ત્‍યારે જ આવું બને . ચિત્રના કે ફોટાના સંદર્ભમાં ડાબી તરફ ખસો ત્‍યારે વ્‍યક્તિનો એંગલ બદલાય છે , પરંતુ સાથોસાથ કીકીના એંગલમાં પણ એટલે જ ફરક પડે છે. પરિણામે સમજી લો કે આપણા માટે તેનો ફોટામાં કશો ફરક પડ્યો નહિઅને માટે તેની નજર પણ સતત આપણી સામે મંડાયેલી જણાય છે .
                           વ્‍યકિત એકધારી ટગર ટગર આપણા તરફ જોયા કરતી હોય એવો ભ્રમ થાય છે . ધારો કે કીકીનું સ્‍થાન આંખમાં તદ્દન વચ્‍ચોવચ ન હોય તો ડાબે કે જમણે ખસ્‍યા કરો તેમ તેના ચહેરાનો એંગલ બદલાય , પરંતુ તેની કીકી તે પ્રમાણે ખસતી નથી. અગાઉ મુજબ ત્રાંસી મંડાયેલી રહે છે

10.    લાકડું શા કારણે કોહી જાય છે ?
                          લાકડું સડી જાય છે કે કોહી જાય છે તે આપણે જોઇએ છીએ , જાણીએ છીએ . જો કે , કેટલાંક એવા પ્રકારનાં લાકડાં જરૂર છે , જે પાણીમાં રાખવાં છતાં સડી જતાં નથી .
                         યુરોપમાં આવેલું વેનિસ એક એવું આખું શહેર છે કે જે લાકડાના ગંજ ઉપર જ બાંધવામાં આવ્‍યું છે . અને તે લાકડાં અનેક વર્ષોથી સમુદ્રના પાણીમાં જ હોવાં છતાં સેંકડો વર્ષ ટકે છે . આ લાકડાં સડતાં નથી તેનું કારણ એ છે કે , જે વસ્‍તુઓ અથવા પદાર્થો લાકડાને સડાવે છે, અથવા જેમનાથી લાકડું સડી જાય છે , તે તેમના પર આક્રમણ કરી શકતાં નથી .
                         લાકડું કારણ વિના સડતું નથી . લાકડાંને ભેજ લાગે ત્‍યારે તે સડે છે . જો તેને ભેજ ન લાગે તો તે સડતું નથી . જયારે કેટલાંક લાકડાં ભેજ લાગે તો પણ તે સડતાં નથી . રેલવેના સલેપાટમાં જે લાકડું વાપરવામાં આવે છે કે , તેને (CRE’OSOTE) લાકડાના ડામરમાંથી ગાળેલા એક પ્રકારના તેલમાં ભીંજવવામાં આવે છે . આ ક્રિઅસોટ તત્‍વ રોગનું અથવા આથાનું કારણ બનતાં જંતુઓ કે જીવો (MICROBES) માટે ઝેર સમાન છે , તેથી તે લાકડામાં આવા જીવાણુઓને રહેવા દેતું નથી .
                     
                        લાકડું સડવાનું કારણ આવા જંતુઓ / જીવાણુઓ છે. તે ભેજવાળા લાકડામાં ઉત્‍પન્‍ન થાય છે અને તેથી તે લાકડું સડે છે . જો કોઇ લાકડાની ઉપર કે અંદર આવા જંતુઓને મારી નાખે તેવો પદાર્થ મૂકવામાં આવે તો તે લાકડું સડતું નથી , કારણ કે આ પદાર્થ એવો સખત હોય છે કે , પેલા જંતુઓ તેને ખાઇને પચાવી શકતા નથી . ખારું પાણી પણ આવા જંતુઓથી લાકડાને બચાવે છે .


11.    વ્યક્તિની યાદશક્તિ કેમ જતી રહે છે ?

                               મનુષ્‍યના નાના-મગજમાં કેટલીક એવી કોશિકાઓ છે જે આંખોએ જોયેલું એકઠું કરે છે. એટલે કે સંગ્રહ કરે છે. નાના-મગજ પર મોટો ઘા પડવાથી (વાગવાથી) આ કોશિકાઓને ઈજા થાય કે સંકોચાઈ જાય છે. જેથી યાદશક્તિ જતી રહે છે.




12.    રાત કરતાં સવારમાં શું આપણા શરીરની ઊંચાઇ વધુ હોય છે ?
                           આ પ્રશ્રનો જવાબ જાણવા માટે આપણી કરોડરજ્જુની રચના કેવી છે તે જાણવું જરૂરી છે. આ કરોડરજ્જુ અનેક હાંડકાની કે મણકાની બનેલી છે. દરેક હાડકાં કે મણકાંની વચમાં કોમળ-અસ્થિ અથવા કૂર્ચા (CARTILAGE) ની બનેલી એક થાળી (DISC) હોય છે. શરીરના હલનચલનથી લાગતા આંચકા કે થડકાને કે આઘાતને હળવો કરવામાં આ DISC ઉપયોગમાં આવે છે.
                            આપણે કલાકો સુધી ટટ્ટાર સ્થિતિમાં રહીએ તેથી શક્ય છે કે, આપણા શરીરનું વજન આ થાળી ઉપર દબાણ કરતું હોય અથવા થાળી દબાતી હોય તેથી આવું દબાણ આ મણકાઓને ભીંસ આપીને ચપટાં બનાવતું હોય અને તેના કારણે શરીરની ઊંચાઇ નહિવત્ ઓછી થતી હોય છે.
                            રાત્રિ દરમ્‍યાન આપણે સૂઇએ ત્‍યારે આ DISC સ્થિતિસ્‍થાપક હોવાથી પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્‍ત કરી લેતી હોય તેમ માની શકાય અને તેથી આપણી કરોડરજ્જુ તે દરમિયાન પૂરેપૂરી લંબાય છે, લાંબી થાય છે. આવું થવાથી રાત્રિ કરતાં આપણી ઊંચાઇ સવારમાં સહેજ વધુ હોય છે એમ મનાય છે. જો કે સવારમાં ને રાતમાં આપણા શરીરની ઊંચાઇનો આવો તફાવત સાવ નજીવો હોવો જોઇએ.

13.    ચાલતી વખતે આપણા હાથ કેમ આગળપાછળ ઝૂલે છે ?

                          ચાલવાની ક્રિયા દરમ્‍યાન જમણો પગ આગળ માંડો ત્‍યારે શરીરનું જમણું પણ સહેજ આગળ ખસે છે, પરંતુ ખભાના મિજાગરા થકી લટકેલા રહેતા હાથને એ ગતિ મળતી નથી. જમણો હાથ જ્યાંનો ત્‍યાં રહી જાય, માટે  આખા શરીરના સંદર્ભમાં જોતાં તે જાણે પાછળ તરફ ખસ્‍યો હોય એવું લાગે . એ જ રીતે ડાબું ડગલું માંડવા ડાબો પગ આગળ કરો ત્‍યારે ડાબો હાથ પાછળ રહી જવા પામે છે, પણ જમણો હાથ લોલકરૂપે આગળ સરકવા માંડે છે. વળી પાછો જમણો પગ માંડો, એટલે ડાબો હાથ આપમેળે ઝૂલતો આગળ તરફ આવે છેઅને પાછળ રહી જવાનો વારો ત્‍યારે જમણા હાથનો !

14.    થર્મોસમાં ચા ગરમ કેવી રીતે રહી છે?

                         કલાકો પહેલાં થર્મોસમાં રેડેલી ગરમ ચા કે કોફી કલાકો પછી તેવી ન ગરમ રહે છે. થર્મોસની કઈ વસ્‍તુ ચા કે કોફીને ગરમ રાખે છે? જવાબ બહુ વિચિત્ર છે.
                         થર્મોસમાં એવી કોઈ જ વસ્‍તુ નથી હોતી જે ચાને ગરમ રાખે. ત્‍યારે ગરમ વસ્‍તુ ગરમ કેવી રીતે રહેતી હોય છે? આપણું થર્મોસ બે બાટલીઓનું બનેલું હોય છે. મોટી બાટલીની અંદર નાની બાટલી હોય છે. બંને બાટલીઓ ફકત ઉપરથી જ એકબીજા સાથે જોડાયેલી હોય છે. બંને બાટલીઓ વચ્‍ચે ફકત શૂન્‍યાવકાશ જ હોય છે. પંપ દ્રારા બે બાટલીઓ વચ્‍ચેથી હવા કાઢી લીધેલી હોય છે, જેને આપણે શૂન્‍યાવકાશ કહીએ છીએ. આમ બે બાટલીઓ વચ્‍ચે ખરેખર કશું જ નથી હોતું.
                         હવે તમે અંદરની બાટલીમાં ગરમ ચા રેડશો તો તેની ગરમીને પસાર થવા કોઈ માધ્‍યમની જરૂર પડશે અને ત્‍યારે જ તે બહારની મોટી બાટલી સુધી જઈ શકશે. પરંતુ ગરમી ઠંડીનું વહન કરી શકે તેવું માધ્‍યમ વચ્‍ચે નથી અને હકીકત એ છે કે હવા વિનાની શૂન્‍યાવકાશવાળી જગ્‍યામાં ગરમી પસાર થઈ શકતી નથી. આ કારણે ગરમ વસ્‍તુ કલાકો સુધી ઠંડી જ રહે છે.




15.    માથું ક્યાંક જોરમાં અફળાય તો…….

                              જોવાની ક્રિયામાં આંખનું કાર્ય ફક્ત કેમેરાના લેન્‍સ જેવું છે. નજર સામેનું દ્રશ્‍ય જેમના વડે બનેલું હોય એ પ્રકાશનાં કિરણોને આંખ પોતાના કોષો થકી ઝીલે છે. વિવિધ કિરણોનું ત્‍યાર બાદ વિદ્યુત સિગ્‍નલોમાં રૂપાંતર કરીને તેમને મગજ તરફ રવાના કરે છે. સિગ્‍નલોના આધારે જે તે રંગવાળું દ્રશ્‍ય જુએ છે અંતે મગજ , આંખ નહિ .

                              કોઈ વાર માથું ક્યાંક જોરમાં ટકરાય ત્‍યારે આંખો તો આપોઆપ બંધ થાય છે, માટે બહારનો પ્રકાશ તેમાં પ્રવેશતો નથી. પ્રકાશ ન મળ્યો હોય, એટલે મગજને આંખે વીજળીનાં સિગ્‍નલો મોકલવાનો પણ સવાલ નહિ. આમ છતાં કલ્‍પી લો કે હાથમાં પકડેલી સિતાર નીચે પડી અને પછડાટને લીધે તાર આપોઆપ ઝણઝણી ઊઠ્યા. એ પછી એમ કલ્‍પી લો કે આપણું દશેરિયું માથું જ સિતાર છે. પછડાટ વાગતાં જ નેત્રકોષો આઘાત પામી જાય છે અને દબાણને લીધે કેટલાંક વીજળીક સિગ્‍નલોને નેત્રતંતુ દ્વારા મગજ તરફ રીલિઝ કરી દે છે. સિગ્‍નલો કશા ઢંગધડા વગરનાં હોય છે, કેમ કે વ્‍યવસ્થિત દ્રશ્‍યનાં પ્રકાશકિરણો તો આંખમાં દાખલ થયાં હોતાં જ નથી. અલબત્ત, મગજ તે વાત શી રીતે જાણે ? સિગ્‍નલો મળે કે તરત પોતાની આદત મુજબ એ તો દરેકને જે તે રંગના ટપકામાં ફેરવવા માંડે છે. ટપકાં એ જ તારા, જેમનાં દર્શન આપણને ક્યારેક ધોળે દિવસે પણ થાય છે !


16.    દવાના નામ પહેલાં Rx એવી સંજ્ઞાનો અર્થ શો ?


                              ઘણા લોકો મહત્‍વના લખાણનો આરંભ જેમ શુકન માટે શ્રી૧ વડે કરે તેમ ડૉકટરો પોતાના દરદી માટે દવાનું નામ લખતા પહેલાં શુભેચ્‍છા વ્‍યક્ત કરવા Rx સંજ્ઞા વાપરે છે. પ્રાચીન સમયમાં રોમના પ્રજાજનો ગુરૂને એટલે કે જ્યુપિટરને દેવ તરીકે પૂજતા અને ત્‍યાર પછી મધ્‍યયુગમાં તબીબો એવું માનતા થયા કે માણસના સ્‍વાસ્‍થ્‍ય પર તે ગ્રહ બહુ મોટી અસર કરે છે.

                             આથી રોમનોએ ગુરૂ માટે જે સંજ્ઞા પસંદ કરેલી તે ડૉકટરો તેમના પ્રિસ્ક્રિપ્‍શનમ લખવા માંડ્યા. એ પછી તો ગુરૂ તમને જલદી સાજા કરેએવી શુભેચ્‍છા દર્શાવવા માટે Rx લખવાનો કાયમી ધારો પડી ગયો. જ્યુપિટરનું મૂળ ચિન્‍હ તો સહેજ જુદું છે અને જરા ચીવટપૂર્વક દોરવું પડે એવું છે. ડૉકટરોને એ જાતનું ચિત્રકામ ફાવે નહિ અને તે માટે ફુરસદ પણ હોય નહિ, એટલે માત્ર Rx લખીને તેઓ પોતાનું કામ સહેલું બનાવે છે. રોમન દંતકથા અનુસાર ગુરૂ (જ્યુપિટર) આકાશી વીજળી તથા વરસાદના દેવ છે. વીજળીમાં ભરપૂર શક્તિ હોય અને વરસાદ આપણી સૃષ્ટિને ચેતનવંતી બનાવે, એટલે ગુરૂને તાકાત અને તંદુરસ્‍તીના દેવ માનવામાં આવે તે સ્‍વાભાવિક વાત છે.







17.   આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે આમ કેમ ?
                               પાણી અને તેલ બંને પ્રવાહી છે. પાણી એટલે બળી ગયેલો અથવા સળગી ગયેલો કે ઓકિસજન સાથે ભળીને સળગી ગયેલો હાઇડ્રોજન વાયુ છે, જેથી તે સળગી ગયેલો હાઇડ્રોજન ફરી વખત સળગી શકતો નથી. જયારે દીવાની જયોતને પાણીમાં બોળવામાં આવે છે, ત્‍યારે તેને હવામાંથી ઓકિસજન મળતો બંધ થાય છે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન કે ઓકિસજન તેમના મૂળ ગુણો સાથે અસ્તિત્‍વ ધરાવતા નથી.
                            જેવી રીતે ડૂબતો માણસ પાણીમાં ગુંગળાઇને મરી જાય છે, તેવું જ દીવાની જયોતનું થાય છે. ? જોકે પાણીમાં ખૂબ જ અલ્‍પ પ્રમાણમાં ઓકિસજન ઓગળેલો હોય છે, જે સળગવા માટે તથા માછલીઓને શ્ર્વાસ લેવા માટે પૂરતો હોય છે પરંતુ તે જયોતને કે ભડકાને સળગતાં રાખવા માટે પૂરતો હોતો નથી. હવાની સરખામણીમાં પાણી ગરમીનું વધુ સારું વાહક છે, એટલે કદાચ એવું પણ બને કે, જયારે કોઇ સળગતી વસ્‍તુ પાણીમાં નાખવામાં આવે અથવા તે સળગતી વસ્‍તુ ઉપર પાણી નાખવામાં આવે છે ત્‍યારે તે વસ્‍તુ કે પદાર્થ પોતાની ગરમી ઝડપથી ગુમાવી દે છે અને તેનું ઉષ્‍ણતામાન એટલું ઘટી જાય છે કે, તેટલા ઉષ્‍ણતામાને તે સળગી શકતી નથી.
                           જયારે પેરેફીન (તેલ) એ કાર્બન હાઇડ્રોજનનો બનેલો સંયુકત પદાર્થ છે. આ બંને તત્‍વો ઓકિસજનની સાથે બહુ જ સહેલાઇથી ભળી જાય છે, એટલે કે પૂરતી ગરમી મળતાં તરત જ તે જવલનશીલ (સળગી ઊઠે તેવા) બની જાય છે. આથી જયારે પેરેફીનમાં આગ મૂકવામાં આવે છે કે તરત જ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજન ઝડપથી સળગવા માંડે છે અને તેમાંથી પાણી (હાઇડ્રોજન અને ઓકિસજનનુ સંયોજન) તથા કાર્બન ડાયોકસાઇડ (કાર્બન અને ઓકિસજનનું સંયોજન) ઉત્‍પન્‍ન થાય છે. જયારે પેરેફીનનું આ બે તત્‍વોમાં પૂરું રૂપાંતર થઇ જાય છે, પછી તે પણ સળગી શકતું નથી.
18.    શું પાંદડું (પાંદડાં) વોટરપ્રૂફ હોય છે ?

                             જે પદાર્થ પોતાનામાંથી પાણીને બહાર જવા ન દે , અથવા બહારનું પાણી પોતાની અંદર પ્રવેશવા ન દે , તેવા પદાર્થને ‘‘વોટરપ્રૂફ’’ કહેવામાં આવે છે. વોટરપ્રૂફ કપડાં માટે આ વાત સાચી છે, પરંતુ પાંદડાં (ઝાંડના કે છોડનાં) કે પ્રાણીઓની ચામડી માત્ર એક જ રીતે સંપૂર્ણ વોટરપ્રૂફ છે. આ પાંદડાં કે ચામડીની સપાટી પાણીને પોતાની અંદરના ભાગમાં પ્રવેશવા દેતા નથી . આ બંનેના શરીરની રચના એવા પ્રકારની હોય છે કે , તેની સપાટી (પાંદડું કે ચામડી) પાણીને બહાર નીકળવા માટેનું માધ્‍યમ છે , પરંતુ તે પાણીને તેના અંદરના ભાગમાં પ્રવેશવા દેતી નથી .
                         જો પાણી આવી રીતે ચામડી મારફતે બહારથી શરીરમાં પ્રવેશ કરી શકતું હોત તો પ્રાણીના શરીરમાં ભ્રમણ કરી રહેલા પાણીમાં ખલેલ પહોંચત. પાંદડાંની સપાટીની આપણે બરાબર ધ્‍યાનથી જોશું તો જણાશે કે, તેને આપણા શરીરની પેઠે, ચામડીના જેવું બહારનું પડ હોય છે. આ પડ કોષોનું બનેલું હોય છે, અને તે એવા પદાર્થોમાંથી બન્‍યું હોય છે કે, પાણી તેની અંદર ઘૂસી શકતું નથી, પ્રવેશી શકતું નથી.
વરસાદની વાત કરીએ તો વરસાદ કંઇ પાંદડાં માટે હાનિકારક કે ખરાબ નથી. તે પાંદડાંને ધોઇને સાફ રાખે છે, જેથી પાંદડાં સરળતાથી શ્ર્વાસ લઇ શકે, તેમ જ તેમના ઉપર પડતા પ્રકાશનો ઉપયોગ કરી શકે. ઝાડ અથવા છોડ પાંદડાં મારફતે પાણી પીતાં નથી? કે મેળવતાં નથી. તેઓ તો પોતાના મૂળ મારફતે આ કામ કરે છે. પાણી પાંદડાં ઉપર વરાળની પેઠે છવાઇ જાય છે, પરંતુ તે પાંદડાંની અંદર જઇ શકતું નથી. આથી જેમ આપણી ચામડી પર પરસેવો બાઝે છે, તેવું પાંદડાંને પણ થાય છે. કેટલીક વખત હવામાંનો ભેજ, પાણી બનીને પાંદડાં ઉપર પડે છે. જેમ આપણે ખૂબ? શ્રમ કરીએ કે દોડીએ ત્‍યારે પરસેવાનાં ટીપાં આપણા શરીરની ચામડી ઉપર બાઝે છે તેના જેવી જ આ બાબત છે

19.   ખાધેલા ખોરાકનું શરીરમાં શું થાય છે ?
                                  આપણે માત્ર સ્‍વાદ કે મજા માટે ખોરાક લેતાં નથી પણ શરીરને જરૂરી શકિત પુરી પાડવા માટે લઈએ છીએ. બરાબર ચાવીને ખાધેલો ખોરાક અન્‍નનળી મારફતે હોજરીમાં જાય છે. અન્‍નનળી એ ગળા અને હોજરીમાં ઉતારે છે. હોજરી પણ સ્‍નાયુઓની બનેળી થેલી જેવી કોથળી છે જેની દિવાલમાંથી પાચક રસો અને હાઈડ્રોકલોરીક એસીડ ઉત્‍પન્‍ન થઈ ખોરાકમાં ભળે છે.
                                   હોજરીની દિવાલ ઉપર રહેલાં તંતુઓ ખોરાકને વલોવે છે એટલે આપણે ખાધેલો ખોરાક પાચક રસો સાથે ભળીને ઘટ્ટ અર્ધપ્રવાહી બની જાય છે. ખોરાકમાં રહેલા શકિત અને પોષણ આપતા દ્રવ્‍યો છુટા પડે છે અને કલાક પછી આ વલોવાયેલો ખોરાક નાના આંતરડામાં જાય છે. નાનું આતરડું ભલે નાનું કહેવાય પરંતુ પાંચ મીટર જેટલું લાબું હોય છે અને પેટમાં હોજરીની નીચે ગુંચળું વળીને રહેલું હોય છે. આંતરડાની અંદરની દિવાલોમાં સુક્ષ્‍મ રૂંવાટી જેવા કોષો હોય છે જે ખોરાકમાંથી પોષક દ્રવ્‍યોનું શોષણ કરી લોહીમાં ભેળવે છે. આ ક્રિયાને ખોરાકની પાચનક્રિયા કરે છે.
                                    નાના આંતરડામાં મોટાભાગના ખોરાકનું પાચન થયા બાદ વધેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે અને ત્‍યાં બાકી રહેલી પાચનક્રિયા પૂર્ણ થાય છે અને બાકી વધેલો ખોરાક મળસ્‍વરૂપે નિકાલ પામે છે.

20.    માથા અને શરીર પર વાળ શા માટે ?

                                   સ્‍તન્‍ય વંશના પ્રાણીઓમાં બધાના શરીરે અથવા શરીરના કેટલાક ભાગોમાં વાળ હોય જ છે. માણસ પણ સ્‍તન્‍ય વંશનું પ્રાણી છે. આ વંશના પ્રાણીઓના શરીરે વાળ આપવાનો કુદરતનો હેતુ પ્રાણીને ગરમી-ઠંડી સામે રક્ષણ આપવાનો છે. પરંતુ પ્રાણીની સરખામણીમાં માનવીના શરીરે વાળની સંખ્‍યા ઓછી હોય છે.
                                     પુખ્‍ત વયના માનવીના વાળનું જે આવરણ હોય છે તેના ઊગવા તથા વિકાસનો આધાર જાતિય ગ્રંથિઓ પર છે. પુરુષમાં રહેલા હોર્મોન્‍સ દાઢી તથા શરીર પર વાળ ઊગવાની ક્રિયાને ઉત્તેજન આપે છે. માથા પર ઊગતા વાળ પર પણ તેનો અંકુશ હોય છે. પુરુષોમાં આ હોર્મોન માથા પરનાં વાળને બેફામ ઊગવા નથી દેતા અને તેની સંખ્‍યાને પણ નિયંત્રિત કરે છે. પરંતુ સ્‍ત્રીઓમાં જુદા પ્રકારના હોર્મોન હોય છે અને તે તદન ઊલટી જ દિશામાં કામ કરે છે. તે સ્‍ત્રીના શરીર પર ઊગતા વાળ પર નિયંત્રણ મૂકી દે છે અને માથા પરના વાળને વિપુલ પ્રમાણમાં ઊગવા માટે ઉત્તેજન આપે છે. વિજ્ઞાનીઓ આ વાત બહુ સારી રીતે જાણે છે. આમ છતાં શરીરે વાળ ઊગાડવાનું કુદરતનું હેતુપૂર્વકનું આયોજન નવાઇ પમાડે તેવું છે.
                                     શરીરના કેટલાક ભાગોમાં વધુ પડતા વાળ ઊગાડીને કુદરતે એ ભાગને કચરો, રજકણ અને જીવાતો સામે રક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. આ કારણે જ નાકમાં તથા બાહ્ય કાનમાં પણ વાળ હોય છે ! ભમરના વાળ તથા પાંપણ પરના વાળ પાછળ પણ કુદરતનો આ જ હેતુ છે. ઉત્‍ક્રાંતિવાદના શોધક ચાર્લ્‍સ ડાર્વિને કહ્યું છે કે કુદરતે પુરુષની દાઢી પર વાળ ઊગાડયા તેમાં કુદરતનો એક હેતુ દૂરથી જ સ્‍ત્રી અને પુરુષનો ભેદ વ્‍યકત કરી દેવાનો પણ છે. પુખ્‍ત વયના પુરુષના શરીરની ચામડી પર ત્રણ લાખથી પાંચ લાખ જેટલા વાળ હોય છે. ઉજળા વાનવાળી વ્‍યકિતના શરીરની ચામડી પર વાળની સંખ્‍યા જરા વધારે હોય છે.

21.    કૃત્રિમ ઉપગ્રહો શેના જોરે પૃથ્‍વીને પ્રદક્ષિ‍ણા કરતા રહે છે ?

                                            ઉત્તર ધ્રુવ પર સેંકડો કિલોમીટર ઊંચો કલ્પિ‍ત મિનારો છે, જ્યાંથી ફેંકવામાં આવેલો પથરો સીધો જમીન તરફ પડે છે. પૃથ્‍વીનું ગુરૂત્‍વાકર્ષણ તેને પરબારો નીચે આવવા ફરજ પાડે છે.મિનારાની ટોચે અહીં શક્તિશાળી તોપ ગોઠવેલી છે એમ ધારી લો. પૂરજોશમાં ફાયર કરાયેલો તોપગોળો પણ છેવટે તો નીચે પટકાય છે, છતાં ધક્કો મળવાને લીધે તે આગળ તરફ થોડુંક અંતર કાપ્‍યા પછી ભોંયભેગો થાય છે.
                                            હવે અનુમાન કરો કે એક સેટેલાઇટને ક્યાંય જોરદાર ધક્કો આપીને છોડવામાં આવ્‍યો છે. પૃથ્‍વીનું ગુરૂત્‍વાકર્ષણ તેને પણ નીચે તરફ આકર્ષ્‍યા વગર રહેતું નથી, માટે એ સેટેલાઇટનું પતન થવા માંડે છે. કોઈ લિફટનું દોરડું અકસ્‍માત તૂટી જાય અને લિફટ સડસડાટ પડવાનું શરૂ કરી દે તેમ સેટેલાઈટ પણ ગબડતો રહે છે. મહત્‍વની વાત એ કે સેટેલાઈટનો વેગ જેવો તેવો હોતો નથી. આ કૃત્રિમ ઉપગ્રહ કલાકના લગભગ ૨૮,૫૦૦ કિલોમીટરના વેગે પૃથ્‍વી તરફ પડ છે. પૃથ્‍વી જો સપાટ હોય તો ચોખ્‍ખી વાત કે વહેલોમોડો તે જમીનદોસ્‍ત થાય, પરંતુ ધરતી ગોળાકાર છે. ગોળાઈને કારણે પૃથ્‍વીના સંપર્કમાં તે આવતો જ નથીઅને ગોળાકાર ભ્રમણકક્ષા રચીને જેમનો તેમ પ્રવાસ ખેડતો રહે છે. પ્રદક્ષિ‍ણાની ઝડપ ઘટી જાય તો પૃથ્‍વીનું ગુરૂત્‍વાકર્ષણ તેને જરૂર નીચે પાડી દે




22.  કપાસિયા તેલ કેટલું ગુણકારી ?

                                      ખાઘ પદાર્થોમાં તેલોનું ઘણું મહત્‍વ છે. આપણે આહારમાં આજે વિવિધ પ્રકારના તેલોનો ઉપયોગ ખાદ્ય પદાર્થો તરીકે થઇ રહ્યો છે. ઉતરી રાજયોમાં સરસવના તેલનું મહત્‍વ છે તો દક્ષીણના રાજયમાં કોપરેલ તેલનો ઉપયોગ વ્‍યાપક છે. કારણ કે તે પ્રદેશોમાં તેનું ઉત્‍પાદન વધું થાય છે. જયારે ગુજરાત મહારાષ્‍ટ્ર વગેરેમાં તલના તેલનો ઉપયોગ પહેલા ખૂબ વધારે પ્રમાણમાં થતો.
                                       સમય જતા મગફળીનું વાવેતર વધવા લાગ્‍યું એટલે મગફળીના તેલનો ઉપયોગ થવા લાગ્‍યો. પરંતુ ઉત્‍પાદનની અનિશ્રિતતા તેમજ પડતર મોંઘુ પડવાથી મગફળીના તેલની કિંમત વધતી ગઇ, આમ લોકોને આ તેલ મોંઘુ લાગવા માંડયું, તો બીજી બાજુ કપાસનું ઉત્‍પાદન વધવા લાગ્‍યું, તેમાંથી નીકળતા બીયાંનો ઉપયોગ ઢોરોને ખવડાવવામાં વધુ થતો, પરંતુ આજે આ જ બીયાંમાંથી તેલનું ઉત્‍પાદન કરવામાં આવે છે જેને કોટનસીડ કપાસીયાનું તેલ કહેવામાં આવે છે.
આપણે આપણા આહારમાં તેલ, ઘી, માખણ અને અન્‍ય ચરબીવાળા પદાર્થો લઇએ છીએ તેનો ઉપયોગ તળવામાં, શેકવામાં, મોણ માં અને મીઠાઇ બનાવવા કરીએ છીએ. વ્‍યકિતમાં ચરબીનું પ્રમાણ ૧૫ ટકા આસપાસ હોય છે.
                                         ભારતમાં માખણ અને ઘીનો ઉપયોગ વધારે થાય છે. ચરબીનું પાચન પકવાશયમાં શરૂ થાય છે. તેમાં પિત ભળે છે. ચરબીનું વિભાજન પામી તેમાંથી ગ્લિરોલ અને ફેરી એસિડોમાં રૂપાંતર થાય છે. તૈલી પદાર્થોમાં ફેરી એસિડો રહેલા હોય છે. તેમાં બે પ્રકારના ફેટી એસિડો હોય છે એક સંતૃપ્‍ત અને બીજા અસંતૃપ્‍ત. તૈલી પદાર્થોની શુધ્‍ધતાનો આધાર તેના આયોડીન આંક અને સાબુનીકરણ આંક ઉપર છે. મગફળી અને તલ તેલનો આયોડીન આંક અનુક્રમે ૯૩ અને ૧૦૮ જેટલા છે. મગફળી અને તલના તેલોમાં અસંતૃપ્‍ત એસિડ વધારે છે. તેથી કોલેસ્‍ટોરેલને નિયંત્રણમાં રાખે છે.
                                          સંતૃપ્‍ત ફેટી એસિડથી કોલેસ્‍ટોરેલનો પદાર્થ બનાવે છે. તેનું પ્રમાણ વધે તો હૃદયરોગ થાય છે. તલ અને મગફળીના તેલના ભાવ વધારે હોવાથી હવે કપાસીયાના તેલનો ઉપયોગ વધુ થવા લાગ્‍યો છે. કપાસને અંગ્રેજીમાં કોટન કહે છે. કપાસમાંથી તાંતણા તૈયાર કરવામાં આવે છે તેના ઉપયોગ હજારો વર્ષોથી કપડા તેમજ દોરડા બનાવવા માટે થાય છે. કપાસ વર્ષાયુ ઝાડ છે અને તેની ઉંચાઇ બે ત્રણ હાથ ઉંચા હોય છે. કપાસની બીજી નરમા જાત છે. તેના ઝાડ મોટા છે. કપાસમાંથી રૂ મેળવવામાં આવે છે અને તેના બીયાંમાંથી તેલ કાઢવામાં આવે છે. કપાસને સંસ્‍કૃતમાં કાર્પાસી, મરાઠીમા દેકાપસી, હિન્‍દીમાં કપાસ, લેટિનમાં ગાસિપિયમ અશ્‍બેટમ કહે છે.

                                    ભારતના ઇતિહાસ પ્રમાણે સુતરાઉ કપડાં કપાસમાંથી ૫૦૦૦ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવતાં.કપાસના બીયાંમાંથી કાઢવામાં આવતું તેલ જો રીફાઇન્‍ડ કરેલું ન હોય તો તેનો ઉપયોગ જંતુનાશક તરીકે થાય છે. તેમાં પાલ્‍મીટિક એસિડ રર થી ર૬ ટકા, ઓલિક એસિડ ૧૫ થી ર૦ ટકા, લિનોઇક એસિડ ૪૯ થી ૫૮ ટકા જેટલું હોય છે તે ઉપરાંત તેમાં એરાચિડિક બેહનઇક અને લિગ્નોસેરિક એસિડો રહેલા હોય છે. કપાસીયા ના તેલ મા સાયકલો પ્રોપેન રહેલુ છે જે નુકસાનકારક છે, પરંતુ જ્યારે કપાસીયાના તેલને રીફાઇન્‍ડ કરવામાં આવે છે ત્‍યારે તે દૂર થઇ જાય છે. ઉપરાંત તેમાંથી રંગ દૂર કરવામાં આવે છે તેથી તે નુકસાનકારક બનતું નથી.કપાસીયાના તેલમાં સંતુપ્‍ત ફેટી એસિડોનું પ્રમાણ રર ટકા અને મોનોઃ અસંતુપ્‍ત એસિડ એટલે કે ઓલેઇક એસિડનું પ્રમાણ રપ ટકા, પોલી સંતુપ્‍ત એસિડો તેમાં લિનોલેઇક એસિડનું પ્રમાણ પર ટકા અને આલ્‍ફા લિનોલેઇક એસિડનું પ્રમાણ એક ટકા જેટલું હોય છે, આથી વધારે પડતા કપાસીયાના તેલનો ઉપયોગ ફરસાણના ઉત્‍પાદન એટલે કે નમકીન બનાવવા માટે થાય છે. કપાસીયાના તેલમાંથી બનાવેલ વસ્‍તુઓ ખાસ પ્રકારની વાસ આવતી ન હોવાથી તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. વિદેશમાં તેનો વપરાશ વધ્‍યો છે. પશ્રિમ ના દેશોમાં માછલી, ચિકન નૂડલ્‍સ, બટેટામાંથી તૈયાર કરવામાં આવતી વેફરના ઉત્‍પાદનમાં બહોળા પ્રમાણમાં થાય છે. બીજા તેલોમાંથી બનાવવામાં આવતા ફરસાણમાં લાંબા સમયે તેની વાસ બદલાય જાય છે. ખાદ્ય તેલ તરીકે હવે કપાસીયાના તેલનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં થવા લાગ્‍યો છે. ઉપરાંત મોંઘા તેલોમાં વિવિધ તેલોની ભેળસેળ કરવામાં આવે છે. ત્‍યારે કપાસીયાના તેલમાં ભેળસેળ પ્રમાણમાં ઓછી થાયછે.
                                      આ ઉપરાંત કપાસીયાના તેલનો ઉપયોગ ઢોરોના ચારામાં એટલે કે કેટલ ફૂડ તરીકે ઉપરાંત સાબુ બનાવવામાં, ઔષધોમાં, જંતુનાશક તેલોમાં, સૌદર્ય પ્રસાધનોમાં રબ્‍બર, પ્‍લાસ્‍ટીક તેમજ ચામડા કમાવવામા , કાગળ અને કપડા ની બનાવટોમાં થાય છે. આજે કૃષી ક્ષેત્રે ખાસ પ્રકારની જંતુનાશક દવાઓ તૈયાર કરવામાં વધારે થાય છે. જંતુનાશક દવાઓના સ્‍પ્રે માટે વપરાય છે. આથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે.
                                       કપાસના છોડમાં ગોસીયોલ હોય છે જે એક કુદરતી ઝેર છે જે જંતુઓના મારણમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપરાંત તેમાં પોલીફિનોલીક નામના કુદરતી રંગકો પણ હોય છે. ગોસીપોલ અંગે કહેવાય છે કે ચીનમાં પુરુષો માટેની ફળદ્રુપતા ઓછી કરવા માટે વપરાય છે. આથી બાળકો ન પેદા થઇ શકે તે માટેના ઔષધો તૈયાર કરવા માટે વપરાય છે. બાઝિલિયન ફાર્માસ્‍યુટિકલ કંપની દ્વારા હરર્બોન કપાસના બીયાંમાંથી ગોસીપોલ ટીકડીઓ બનાવી છે. જેનું નામ ‘‘નોફે‍ર્ટિલ‘‘ નામ આપવામાં આવ્‍યું છે. જે પુરુષોની ફળદ્રુપતા ઘટાડે છે. કપાસના બીયાંમાંથી ખાસ પ્રકારે બનાવેલ કેક, ઢોર-ઢાંખરની ફળદ્રુપતા ઘટાડવા માટે વપરાય છે. ગોસીપોલની બીજી આડઅસરો થાય છે. લોહીમાંના પોટેશિયમના પ્રમાણને ઘટાડે છે તેમજ કિડનીને અસરકર્તા બનાવે છે. પોટેશિયમ શરીરના સ્‍નાયુઓને સબળ બનાવે છે તેના પ્રમાણ ઘટવાથી સ્‍નાયુઓ નબળા પડે છે. આમ છતાં આ અંગે ઓસ્‍ટ્રેલીયામાં, બ્રાઝીલમાં, ચીલીમાં અને ચીનમાં સંશોધનો ચાલે છે.
                                       ગોસીપોલમાં કેન્‍સર સામેના પ્રતિકારનો ગુણધર્મ ધરાવે છે એ ઉપરાંત મલેરીયાનાં પ્રતિકાર માટેના ગુણધર્મ ધરાવે છે. ૧૯૯૬માં ઓહિયો ખાતે પ્રોસ્‍ટેટના કેન્‍સરને રોકવામાં મદદરૂપ થાય છે. આ અંગેના સંશોધનો ચાલુ છે. ટોમોકિરાફિન નામનું જે ઔષધ બનાવ્‍યું છે તે સ્‍તનના કેન્‍સરની સારવાર માટે આપવામાં આવે છે. ગોસીપોલનું નિષ્‍કર્ષણ કઇ રીતે કરવામાં આવે છે તે પધ્‍ધતી ઉપર આધારીત છે. ગરમ કરીને જો નિષ્‍કર્ષણ કરવામાં આવે તો ઝેરી ગોસીપોલ વધારે ઉત્પન્‍ન થાય છે. આથી નિષ્‍કર્ષણ માટે ગરમ કરવાને બદલે દ્રાવકનો વધુ ઉપયોગ થાય છે.
                                        ર૦૦૬માં જીનેટીકલી એન્જિનિયંડ ટોકસીન ફ્રિ કોટન સીડ નામનો નિબંધ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ. તેના સંશોધન માટેનું કેન્‍દ્ર યુએસ નેશનલ એકેડમી સાયન્‍સના સંશોધકો ગણેશન સુનિલકુમાર, લેએને, એમ. કેમ્‍પબેલ, લોરેઇન પુકખાબર હતા તેનું નેતૃત્‍વ અમેરિકન વૈજ્ઞાનિક કીર્તિ રાઠોરે લીધેલું. ગોશીપોલયુકત પ્રકારના કપાસની જાતનો વિકાસ કર્યો તેવા પ્રકારના બીયાં તૈયાર કર્યા જે પ્રાણીઓનો આહાર તૈયાર કરવામાં તેમજ માનવીના દૈનિક આહારમાં વપરાતા તેલની ગુણવતા ખૂબ જ સારી જોવા મળશે. તેને કારણે કપાસીયાના તેલનો ઉપયોગ વ્‍યાપક બનશે.

23.  શું મસાલા ખોરાકમાં જરૂરી છે ?

                                     ખોરાકનું વિવેચન કરતાં મેં મસાલા વિશે કશું કહ્યું નથી. નિમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નિમક વિના સામાન્‍ય માણસ કાંઇ ખાઇ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્‍યકતા છે. તેમાં નિમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્‍ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્‍યંત જરૂરી એક ક્ષાર નિમક છે. જેની સામાન્‍યપણે આવશ્‍યકતા નથી એવા અનેક મસાલા સ્‍વાદને ખાતર અને પાચનશકિત વધારવાને ખાતર લેવામાં આવે છે. જેવા કે મરચાં(લીલાં ને સૂકાં), મરી, હળદર, ધાણાજીરુ, રાઇ, મેથી, હિંગ ઇત્‍યાદિ. આને વિશે મારો અભિપ્રાય પચાસ વર્ષના જાતઅનુભવ ઉપર બંધાયેલો છે કે, આમાનાં એકેયની શરીરને પૂર્ણ રીતે આરોગ્‍યવાન રાખવા સારુ આવશ્‍યકતા નથી. જેની પાચનશકિત છેક નબળી થઇ ગઇ હોય તેને, કેવળ ઔષધરૂપે, નિશ્ર્ચિત મુદતને સારુ તે ધારેલી માત્રામાં લેવાં પડે તો ભલે લે. પણ સ્‍વાદને સારુ તો તેનો આગ્રહપૂર્વક નિષેધ ગણાવો જોઇએ.
                                    મસાલામાત્ર, નિમક પણ, અનાજ શાકના સ્‍વાભાવિક રસમાં જે સ્‍વાદ આવે છે તે મસાલા ને નિમક નાખ્‍યા પછી નથી આવતો. તેથી જ મેં નિમક લેવું હોય તો ઉપરથી લેવાનું સૂચવ્‍યું છે. મરચું તો હોજરીને અને મોંને બાળે છે. જેને મરચાની આદત નથી તે પ્રથમ તો મરચું ખાઇ જ નહીં શકે. ઘણાંનાં મોઢાં આવી ગયેલાં મેં જોયાં છે. અને એક માણસ, જેને મરચાંનો અત્યંત શોખ હતો તેનું તો મરચાંએ ભરજુવાનીમાં મોત આણ્‍યું. દક્ષિ‍ણ આફ્રિકાના હબસી મસાલાને અડકી જ નહીં શકે. હળદરનો રંગ ખોરાકમાં તેઓ સાંખી શકે. અંગ્રેજો આપણા મસાલા નથી લેતા.



24.    બે કીડી સામસામે પોતાના મોં કેમ અડકાડે છે ?


                                      
કીડીના રાફડામાં બધું જ કામકાજ ગંધના આધારે થાય છે. કીડીને કોઈ જગ્યાએ ખોરાકનો મોટો જથ્થો મળી જાય તો પહેલું કામ તે ખોરાક પર ગંધ છાંટવાનું કરે છે. એ પછી રાફડાની અન્ય કીડીઓને સમાચાર આપવા માટે પાછી વળતી વખતે રસ્તામાં પણ ઠેકઠેકાણે ગંધ છોડતી જાય છે. જેથી ખોરાક શોધવા નીકળતી દરેક કીડી ગંધ પારખીને એજ રસ્તે ચાલે. આશ્ચર્યની વાત એ છે કે કીડીના દરેક રાફડાને પોતાની ચોક્કસ ગંધ હોય છે. માટે રસ્તામાં ક્યારેક સામી મળતી કીડી પોતાના જ રાફડાની છે કે કેમ તે જાણવા એકબીજીને અચૂક સૂંઘી લે છે. કોઈની ગંધ જુદી હોય તો એ કીડીને દુશ્મન રાફડાની હુમલાખોર સમજી તેનો અંત લાવી દે છે. પણ એ જ રાફડાની એકાદ કીડીને પાણીમાં બરાબર સ્નાન કરાવી બિલકુલ ગંધરહિત બનાવી તેના જ રાફડામાં મુકો તો તેમાં ગંધ ન જણાતાં રાફડાની અન્ય કીડીઓ તેને પારકી ગણી તેનો અંત લાવી દે છે. એટલે દરેક કીડીએ પોતાના રાફડાની ગંધ લાયસન્સની જેમ સાથે રાખવી પડે છે.




25.    એલ્યુમિનિયમ ફોઈલમાં વસ્તુ ગરમ કેમ રહે છે ?


                                 
એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક ગણાય છે. તેમ છતાં એલ્યુમિનિયમ ફોઈલમાં મૂકેલી ખાદ્યસામગ્રી લાંબા સમય સુધી ગરમ રહી શકે છે. એલ્યુમિનિયમ ધાતુ ગરમીની સુવાહક હોવાથી એવું માનવાને મન થાય કે આંતરિક ગરમીને તેની આરપાર નીકળી ખુલ્લી હવામાં ભળી જતાં વાર ના લાગે. આમ છતાં પોલિશ કરેલી એલ્યુમિનિયમ ફોઈલનો ગુણધર્મ જુદો છે. ગરમીને તે પરિવર્તિત કરી જાણે છે. ગરમીનાં મોજાંને તે પરાવર્તિત કરી પાછા મોકલે છે. ફોઈલના બંધ પેકેટમાં કેદ પુરાયેલી ગરમી તેને કારણે બહાર નીકળી શક્તી નથી. એટલે ખાદ્યસામગ્રી પણ જલદી ઠંડી પડી જતી નથી.

 
26.    માણસને બગાસાં કેમ આવે છે ?


                                 
બગાસું આવવાનું વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય છે. છતાં અત્યાર સુધીનાં શોધનમાં અમુક તથ્યો બહાર આવ્યા છે. દિવસના અંતે માણસ થાકે ત્યારે તેના સ્નાયુઓ શિથિલ થતાં શ્વાસોશ્વાસ આપમેળે ધીમો પડે છે.
                                  પુખ્ત વયના માણસને દર મિનિટે છ લીટર હવા જોઈએ. તેમાંની 15% હવા એકલું મગજ વાપરી નાખે છે. માટે એ હવાનો પુરવઠો તેને પહોંચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરી વળે છે. શ્વાસોચ્છવાસનો દર ઘટી જતાં મગજને ગૂંગળામણ થાય એટલે તે બગાસાનો સંકેત આપે છે. અને ઊંડો શ્વાસ લેવા માટે ફેફસાને આદેશ મોકલે છે. ત્યાર બાદ આવતું સરેરાશ બગાસું 5.5 સેકન્ડ સુધી ચાલુ રહે છે.
                                    જો એક બગાસાથી મગજને રાહત ન થાય તો બીજું, ત્રીજું અને ચોથું બગાસું પણ આવે છે. ઉપરાઉપરી બગાસાં ખાવા પડે તે ઊંઘ આવવાનો સંકેત છે. ઊંઘ આવ્યા પછી શરીરનું તંત્ર વધારે ઑક્સિજન માગતું નથી. એટલે સામાન્ય રીતે દિવસના સમયમાં બગાસાં આવતાં નથી. સિવાય કે કોઈ કામ કંટાળાજનક લાગતું હોય.



27.    રેસિંગની કાર અવાજ કેમ વધુ કરે છે ?


                                રેસિંગની કારનો અવાજ અન્ય કારો કરતાં અનેકગણો વધુ હોય છે. સામાન્ય મિકેનિક એવું કારણ આપશે કે રેસિંગની કારનું 700-800 હૉર્સ પાવરનું એન્જિન સામાન્ય મોટર કરતાં સાત-આઠગણું બળવાન હોવાથી બહુ ઘોંઘાટ કરે. પણ ખરો મુદ્દો સાયલન્સરનો છે. મોટરના એન્જિનમાં પેટ્રોલ કે ડીઝલ જેમ બળે તેમ નકામો ગરમ વાયુ એક્ઝોસ્ટ વાટે બહાર ફેંકાતો રહે છે.
                                     જોકે, મોટાભાગની રેસિંગ કારમાં મિથાનોલ વપરાય છે. આ ઝંઝાવાતી વાયુ સખત દબાણ સાથે બહાર નીકળી ઘોંઘાટમય અવાજ પેદા કરે છે. જેને શાંત કરવા દરેક મોટરમાં સાયલેન્સર ફીટ કરવું પડે છે. સાયલેન્સરમાં અનેક ખાના હોય છે. જેમાંથી સખત વાયુના પ્રવાહને પસાર થવું પડે છે. અને સાયલેન્સરમાંના ખાના આ વાયુની ગતિને ધીમી પાડે છે. અને બહાર નીકળતો અવાજ એકદમ ઘટી જાય છે. પણ રેસિંગની કાર માટે સાયલેન્સરનો ગેરફાયદો એ બને કે એન્જિનની કાર્યક્ષમતા થોડીક ઘટે. કેમ કે રીવર્સમાં વાયુનું જે દબાણ થાય તેના ધક્કાનો એન્જિને સામનો કરવો પડે છે. એટલે મોટરની સ્પીડ જરાક ઘટી જાય. પણ રેસમાં ભાગ લેતી કારનો મહત્તમ વેગ સહેજ પણ ઓછો થાય તે ન ચાલે. એટલે રેસિંગની કારના એકઝોસ્ટ જોડે સાયલેન્સર ફીટ કરવામાં આવતું નથી.




28.    આંખ સતત પલકારા કેમ માર્યા કરે છે ?


                                    
કુદરતે આંખનાં પોપચાંને અનેક કામ સોંપ્યા છે. પહેલું કામ લેન્સ જેવા ડોળાને ચોખ્ખા રાખવાનું છે. કેમેરામાં સ્પષ્ટ દ્રશ્ય ઝીલવા માટે જેમ કાચના લેન્સને સ્વચ્છ રાખવો પડે છે તેમ આંખનો કુદરતી લેન્સ પણ હંમેશાં ચોખ્ખો રહેવો જોઈએ. આથી પોપચાનો દરેક પલકારો ડોળા પર બાઝતા રજકણો જેવા કચરાને સાફ કરે છે. બીજું એ કે જો ડોળા ભીનાં ન રહે તો હવાના ઑક્સિજનને શોષી શકે નહિ. શરીરના બધા અવયવોમાં માત્ર આંખનાં ડોળાને લોહી દ્વારા ઑક્સિજન મળતો નથી. એટલે તે પુરવઠો બારોબાર હવા દ્વારા મેળવવો પડે છે. ઈજા થવાનું કે ઝાપટ વાગવાનું જોખમ હોય ત્યારે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં બીડાઈ જતા પોપચાં આંખોને રક્ષણ આપે છે. આવાં કાર્યૉ માટે જ કુદરતે પોપચાંને આપોઆપ પલકારા માર્યા કરે એવાં બનાવ્યા છે. માણસની આંખનાં પોપચાં સરેરાશ પાંચ સેકન્ડે 1 પલકારો કરે છે.



29.    ડૉક્ટરો ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે ?


                                 
હોસ્પિટલમાં ડૉક્ટર દરદીને તપાસતી વખતે સફેદ કપડાં પહેરે છે. પણ ઓપરેશન વખતે તે યોગ્ય નથી. કેમ કે સફેદ કપડાં પર ક્યારેક પડતો લોહીનો ડાઘ તરત નજરે ચઢે છે. ઓપરેશન પછી આવા લાલભડક ડાઘવાળા કપડાં સાથે ડૉક્ટર બહાર નીકળે ત્યારે દરદીના ચિંતાગ્રસ્ત પરિવારજનોને એ ના ગમે. જો લાલ કપડાં પહેરે તો આખો ડ્રેસ લોહીથી ખરડાયેલો લાગે. કાળા રંગના કપડાં મૃત્યુસૂચક શોકના હોવાથી યોગ્ય નથી. માત્ર ભૂરો-લીલો રંગ જ એવો છે જે લોહીના ડાઘને સહેજ ઘેરા ચોકલેટી જેવા બનાવે છે. તેથી ડૉક્ટરો માટે ઓપરેશન કરતી વખતે લીલા રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા છે.


30.    ડ્રાઈવિંગ વખતે મોબાઈલ પર પ્રતિબંધ કેમ છે ?


                                      
વાહન ચલાવતી વખતે મોબાઈલ પર પ્રતિબંધ મુકવા પાછળ વિજ્ઞાન પણ છે. વાહન ચલાવવાના અને મોબાઈલ પર વાત કરવાના એમ બે સંકેતો મગજને પ્રાપ્ત થાય છે. મગજ બંનેને સરખો ન્યાય આપી શકતું નથી. કેમ કે બંને કેસમાં અમલીકરણ પરસ્પર જુદી પ્રતિક્રિયા દ્વારા કરવાનું રહે છે. તકલીફ એ થાય છે કે ક્યા સંકેતને પ્રાધાન્ય આપવું એ વાહનચાલક નક્કી કરી શકતો નથી. પસંદગીનું કામ મગજનું છે અને મગજની પણ અમુક મર્યાદા છે. તેથી અકસ્માત સર્જાવાની શક્યતા જોતાં વૈજ્ઞાનિક રીતે પણ આ કાયદો જરૂરી ગણાય છે. એક પ્રયોગમાં જણાયું કે માત્ર એક જ કાર્ય ડ્રાઈવિંગ પર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રીત રહે તો તેનો રિએકશન ટાઈમ’ 0.186 સેકન્ડ હોય છે. પણ એ સમયે તે વ્યક્તિ મોબાઈલ પર વાત કરતી હોય ત્યારે શારિરીક પ્રતિક્રિયા દાખવવામાં તે 0.289 સેકન્ડ જેટલો સમય લે છે. આમ લગભગ 55% વધુ સમય લાગે. જેને લીધે અકસ્માત થવાની તક એટલા જ પ્રમાણમાં વધી જાય. ધારો કે 60 કિ.મી.ના વેગથી વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત ચાલતી હોય તો અકસ્માત રોકવા બ્રેક પેડલ દબાતા સુધીમાં વાહન 1.8 મીટર જેટલું અંતર કાપી નાખે. અને રસ્તો ઓળંગતા રાહદારી અને વાહન વચ્ચે બહુ અંતર ના હોય તો આટલો નજીવો તફાવત પણ ક્યારેક અકસ્માતનું કારણ બની શકે.

31.     કી-બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ હોતા નથી ?


                             ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું.
                                આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. અને કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું. (આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે.)
                                   ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી







32.    એરકન્ડિશનરનો કુલિંગ પાવર ટનમાં કેમ છે ?


                                  
એરકન્ડિશનર એ ઉષ્મા (ગરમી)ને નાબૂદ કરતું યંત્ર છે. બંધ ઓરડામાં રહેલી હવાની ગરમીને શોષી લેવાનું તે કામ કરે છે. અને આ ગરમી બ્રિટીશ થર્મલ યુનિટ (બી.ટી.યુ.)માં મપાય છે. ધારો કે ઓરડામાં 1 ઘનફૂટ રાંધણ ગેસ બાળ્યો હોય તો એ દહન 1000 બી.ટી.યુ. બહાર કાઢે છે. આ ગરમી બરફના એક નાના ટુકડાને બહુ જલદી ઓગાળી નાખે. જો બરફનો ટુકડો 1 ટનનો હોય તો 24 કલાકમાં તેને ઓગાળી નાખવા માટે અંદાજે 288000 બી.ટી.યુ. જેટલી ગરમી જરૂરી છે. એટલે કે 1 કલાકના 12000 બી.ટી.યુ. થાય. એટલે એરકન્ડિશનરનું જે મોડેલ દર કલાકે ઓરડામાંની 12000 બી.ટી.યુ. ગરમીને ખેંચી બહાર ફેંકી શકે તે 1 ટનની ક્ષમતાનું ગણાય છે. જો 2 ટનનું એરકન્ડિશનર હોય તો એ દર કલાકે 24000 બી.ટી.યુ. ગરમી બહાર કાઢે છે


33.    સ્ત્રીઓને દાઢી કેમ ઉગતી નથી ?
                          સ્ત્રીઓને અને પુરુષમાં ઉંમરનો પરિચય આપતા વાળ હોય છે. એમની યોન ગ્રંથિઓ કંઈક એવી રીતે હોરમોન્સ છોડે છે કે એમના શરીર અને ચહેરા પર વાળ ઉગવાનું કારણ બને છે. એની સાથે જ એના માથાના વાળનો વિકાસ ધીમો પડી જાય છે. સ્ત્રીઓના સેકસ હારમોન્સ એનાથી વિરુદ્ધ કામ કરે છે. એનાથી એમના (સ્ત્રીઓના) વાળ ઝડપથી વધે છે. પણ ચહેરા પર દાઢીનો (વાળનો) વિકાસ થતો નથી